અપેક્ષા.        લે. સરયૂ

   અપેક્ષા                                                           લે. સરયૂ પરીખ

“આજે સરગમ કેમ હજી આવ્યા નહીં?” અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઈ રહ્યા હતાં.

ચાર મહિના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે! બધાનું કરી છૂટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે. ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે. સાહેબના પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં.

જ્યારે દીકરો-વહુ ઘરડાઘરમાં મૂકવા આવ્યાં ત્યારે અવન્તિકાબહેન એટલાં ગભરાયેલા હતાં કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા. આગળની ઓફિસમાં મિસ.મેનનની રાહ જોતાં બેઠાં હતાં. ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી. વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલા હતા, ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો. મોટાભાઈ-ભાભીએ તો કહી દીધું હતું, ‘તમને યોગ્ય લાગે એમ કરો. બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે?’ મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઉપાય નથી. જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતા હતા, ’એમાં મેં શું ખોટું કરેલું? મારી સિત્તેર વર્ષની ઉંમરની પણ કાંઈ માન મર્યાદા નથી રાખતા. ભલે, અજાણી જગ્યામાં નાખી જાવ. મારે કોઈની જરૂર નથી.’

દીકરાને થાય કે હવે કોઈ ઓફિસમાં આવે તો સારું. સેક્રેટરી બેસવાનું કહી ક્યારનીયે ગઈ. ‘બહારથી તો મકાન સારું દેખાય છે. આગળના રૂમની સજાવટ પણ સારી છે. ઠંડક પણ છે. બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યું એ સારું છે.’ મહેશની નજર તેની મા તરફ વળી. ‘કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ. જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત. ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત, પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો. અને જ્યારે સુનીલ-સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય!’ આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાઘરમાં લઈ જ આવ્યા. દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતા બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય.

અંતે નિવૃત્તિ નિવાસના ડિરેક્ટર મિસ.મેનન આવ્યાં અને જરૂરી કાગળો તૈયાર કરી આપ્યા. અવન્તિકાબહેનને જરા ડાયાબિટીસ સિવાય કાંઈ બીજી તકલીફ નહોતી. અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી. મિસ.મેનને ફોન કરીને અંદરથી કોઈને આવવાનું કહ્યું. થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા.

રૂમ પાસે પહોંચતા જ હસતો અવાજ સંભળાયો, “હલ્લો, કેમ છો? મારું નામ સરગમ. તમારું નામ?”

“અવન્તિકા” એમણે ધીમેથી જવાબ આપ્યો.

”મજાનું લાંબુ નામ છે. હું તમને મિસિસ.એન કહું તો વાંધો નથી ને?”

“ભલે” અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો.

સરગમ, તેમને વર્ષોથી જાણતી હોય તેવા ભાવથી એમના દીકરા-વહુને પણ મળી. પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગઈ. સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું. મન-મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો.

 ‘અરેરે! અહીં તો ભગવાનનું મંદિર પણ નથી. આ જગ્યામાં કોઈ સંતના પગલાં પણ નહીં પડ્યા હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે!’ સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતું નહોતું. ‘મારા ઠાકોરજીને અહીં જરાય નહીં ગમે. આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું, જેને છૂતાછૂતનું ભાન હોય.’

“જુઓ બા, આ રૂમ તમને ગમશે.” મીનળ બોલી, “આ ખાટલો ઠીક છે ને? તમારી શાલ બેગમાં મૂકી છે.”
” હાં, ઠીક છે.” અવન્તિકાબહેન બોલ્યા પણ મનમાં વિચારે કે,  ‘હવે મીઠાશ બતાવે છે. ગઈકાલે જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું! મેં તો કેટલી શાંતિ રાખેલી પણ એણે તો રાડ્યું પાડે રાખી.’

રહેવાની જગ્યા જોવાઈ ગયા પછી, ”ધ્યાન રાખજો” કહીને દીકરો-વહુ જતા રહ્યાં. અવન્તિકાબહેન એકલા રૂમમાં પથારી પર વિચારની અવસ્થામાં ખબર નહીં કેટલી વાર બેસી રહ્યાં હતાં. બે આંખોમાંથી આંસુની ધારા એમના પાલવને ભીંજાવી રહી હતી. નાનાં હતાં ત્યારે એમના બાપુ કહેતા, ”બેનાને તો પાંપણે પાણી.” એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષના થશે અને રડતાં રડતાં બાપુને આમ યાદ કરશે!… યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે!

બપોરનો ચાનો સમય થતાં સવિતાબહેન બોલાવવા આવ્યા. “મને સરગમબહેને વાત કરી કે તમારું નામ અવન્તિકાબહેન છે. ચાલો ચા પીવા જવાનો સમય થયો છે, આવો છો ને?”

”ચાલો.” એમને સારું લાગ્યું કે રોજની જેમ આજે એકલાં એકલાં ચા નહીં પીવી પડે. જમવાનાં રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં. એક બહેનની પાસેની ખાલી ખુરશીમાં એ બેસી ગયા. થોડીવાર કોઈએ ધ્યાન આપ્યું નહીં. ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા.અવન્તિકાબહેનને થયું, ’આ ચા તો બહુ ગળી છે. મને પસંદ એવું અહીં મને કંઈ નહી મળે.’ ત્યાં બાજુવાળા બહેન બોલ્યા,  “એ સરગમબહેન! અહીં આવો તો.” સરગમ ઊભા થઈને આવ્યા અને સીધા જ અવન્તિકાબહેન પાસે આવીને બેઠાં અને પૂછ્યું, “ચા પીધી ને?” …અવન્તિકાબહેને માથું નમાવી હા પાડી.

“હું તમને આ બધાની ઓળખાણ કરાવું.” સરગમ હસીને બોલ્યાં,  ”પેસ્તનજી દારૂવાલા, વલ્લભભાઈ ચોરડીયા, વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન. તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો.” હવે લીલાબેનના મુખ પર હાસ્ય આવ્યું.

પેસ્તનજી કહે, “સોજ્જો તમો અહીં આયા. તમોને ગમશે.” વલ્લભભાઈએ સંમતિમાં માથું હલાવ્યું.
વિનયભાઈએ પૂછ્યું, “ક્યાંના છો?”

અવન્તિકાબહેન, ”ભાવનગરની છું. હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી ભાવનગરમાં ખાસ કોઈ નથી, એક ભાઈનું કુટુંબ જ છે.” આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા. સરગમ સામે જોઈને જાણે મદદ માંગી રહ્યાં.

સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મૂક્યો અને બધા સામે જોઈ બોલ્યા, ”ચાલો રમત ગમતનો સમય થયો છે, તો જઈએ.” પેસ્તનજીએ એમની લાકડી સંભાળી અને તેના ટેકે ટેકે બહાર ગયા.

લીલાબહેને કહ્યું, ”પાંચ વાગે પાછા રૂમમાં જશું પછી તમારે કાંઈ મદદની જરૂર હોય તો કે’જો.” અવન્તિકાબહેને હસીને આભાર માન્યો.

સામેના મોટા હોલમાં સરગમ સાથે ગયા જ્યાં નાના મોટા રમી શકે એવી રમતો હતી. કેટલાયે ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં. કેટલાંક પત્તા રમવાનાં ટેબલ પર બેઠાં હતાં.
વિનયભાઈએ પૂછ્યું, “અવન્તિકાબહેન, બ્રીજ રમતાં આવડે છે?”

” હાં, થોડું થોડું. થોડા દિવસ પછી પ્રયત્ન કરીશ.” એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણામાં પિંગપોંગના ટેબલ નજીકની ખુરશીમાં બેસી ગયા. બધાને જોતાં જોતાં ક્યારે પૌત્રો-સુનીલ અને સુમનની દુનિયામાં પહોંચી ગયા એનો ખ્યાલ ના રહ્યો. ‘બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યાં! નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે. એટલે જ નાનાની માંદગીમાં મારે હાજર રહેવું પડેલું.’ ગર્વ સાથ યાદ આવ્યું, ’અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઉં. કેવા આરતી કરતા શીખી ગ્યા’તા. મીનળ અને મહેશ કીધાં કરે, આ બધી અંધશ્રધ્ધા છે. પણ સાંભળે કોણ?  એમને શું ખબર પડે!’

“અવન્તિકાબહેન કયાં ખોવાઈ ગયા છો?” સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યા. “તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિ પડે પણ હિંમત નહિ હારતા, ધીરે ધીરે ગમી જશે. અને આમ તો જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે.”  અવંતિકાબહેન મ્લાન ચહેરે બેસી રહ્યાં. વિરોધ વંટોળમાં ઘેરાયેલાં મનોભાવ કંઈક બીજું જ સાંભળતા હતાં. ‘મારૂં કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી. માંડ માંડ ઘરમાં ધરમ કરમ, પાઠ-પૂજા ચાલુ કર્યા હતા. ઘર કેવું પવિત્ર થાય! બસ હવે તો બધી માંડવાળ. મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવ્રુત્તિનિવાસમાં રહો પછી વિચારશું. આટલા કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે?’

આમ અકળામણમાં પહેલી રાત તો જેમતેમ કરીને પૂરી કરી. બીજે દિવસે સવારે નાસ્તા પછી લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂ કરી. “તમે અહીં ક્યારથી છો?”

“પાંચ મહિનાથી છું. મને સ્ટ્રોક આવેલો પછી જમણા કાને સંભળાતું નથી. મને વાંચવાનો બહુ શોખ. કેટલીયે ચોપડીઓ વાંચ્યા કરું છુ.” લીલાબહેન પાતળી કાયાને ટટ્ટાર રાખીને બેઠા હતા.

અવન્તિકાબહેનને થયું કે આટલું વાંચે છે તો પહેલા શિક્ષક હશે, “તો તમે પહેલાં શું નોકરી કરતાં હતાં?”

“મને સ્ટ્રોક આવેલો. મને વાંચવાનો બહુ શોખ.” લીલાબહેન એમની ધૂનમાં બોલતા હતા. અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી રહી. વર્તમાનમાં જે બની રહ્યું છે તે બરાબર સમજી શકે છે અને યાદ રાખી શકે છે. ત્યારબાદ એમને ભૂતકાળમાં લઈ જવાની કોશિશ કરવાનું છોડી દીધું.

અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી. બે ત્રણ સાડલા ઉપાડ્યા ત્યાં નીચેથી બેય દીકરાના કુટુંબના ફોટા અને સુનીલ-સુમનના હમણાં પડાવેલા ફોટા સામે નજર પડી. ‘ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી!’ એમને યાદ આવી ગયું. પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ, પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી–આમ અવન્તિકાબહેન ગૌરવ સહિત બધાને કહેતાં. આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની, એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં. મંદિર જવું, પૂજાપાઠ કરવા, એને જ ધર્મ સમજતાં. રોજ ઊઠીને કોઈ વખાણ ના કરે તો ક્લેશના કાદવમાં ડૂબી જાય. કાંઈ તક મળતાં મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે સાથે રડવાનું પણ ખરું. “મારૂં તો કોઈ સાંભળતું જ નથી. હું તો કેટલી સારી છું! કોઈ આશા નથી રાખતી, પણ જુઓ, છે કોઈને મારી દરકાર!’

બારણા પર ટકોરા પડ્યા અને સરગમનો અવાજ આવ્યો, “અંદર આવું?”

“હાં, આવોને.” અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો. ”આ જુઓ, મારા દીકરાઓનો પરિવાર અને નાના સુનીલ અને સુમન.” સરગમ રસપૂર્વક ફોટાઓની સામે જોઈ રહી હતી.

અવન્તિકાબહેને આગળ ચલાવ્યુ. ”મેં જ આ બેયને મોટા કર્યા, સાચું કહું છું. રાતદિવસ બે બાળકોની સાચવણી કરી છે. મંદિર લઈ જઈને બાબા ગુરૂના આશીર્વાદ લેવડાવ્યા. પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું.”

“શું ઠીક ન થયું?” સરગમે પૂછ્યું.

”મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો’કને તો કહેવું જ પડશે. તમને કહું પછી તમે જ ન્યાય કરજો.” અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો. ”સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે. મને બાબા ગુરુમાં બહુ શ્રદ્ધા. દવાની ગોળિઓમાં શું ભલીવાર હોય છે? મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા, ને હાથમાં ટીલા કર્યા. સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારું થઈ જશે… મારા બાબા ગુરૂની રક્ષા. પણ, ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા.

ડોક્ટરે પૂછ્યુ, ”દવાની ગોળીઓ બરાબર આપો છો ને?”

મીનળ કહે, ”બાને સમય વગેરે બધું લખીને બરાબર ચેતવણી આપીને ગોળીઓ આપી છે તે સુમનને ખવડાવતા જ હશે. હમણાં એમને બોલાવીને પૂછું.”

મેં તો હા ના કરતા, બીતાં બીતાં રક્ષાની વાત કરી. ડોક્ટર, મહેશ અને મીનળના ગુસ્સા ભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે. ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતા રહ્યા. હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ મીનળ અને મહેશના અવાજો સાંભળીને હું ધ્રુજી રહી હતી. મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો, ”જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ, ઓકે! તારે બરાડા પાડવાની જરૂર નથી,” કહીને બહાર જતો રહ્યો.

મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઉદાસ ચહેરે મારી પાસે બેઠો અને કહે, ”બા! અમે કહીયે છીએ કે અંધશ્રદ્ધા છોડી દો પણ પથ્થર પર પાણી. હવે તમને સંભળાય છે ઓછું, દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે. દિવસે દિવસે તમારું અહીં રહેવું અશક્ય બનતું જાય છે. મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.”

મેં કહ્યુ, “તમને કશી સમજ નથી પડતી. બાબા ગુરૂની રક્ષામાં કેટલી શક્તિ છે! ગયા અઠવાડીએ મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી.”

“હેં! તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું?”

“હા! એમાં ખોટું શું છે? તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે.” મને લાગ્યું કે જાણે મહેશને ચક્કર આવી ગયા…. હવે તમે જ કહો સરગમ, મારી વાત સાચી છે ને?”

સરગમ ધીરે ધીરે વિચાર કરતા બોલ્યાં, “અવન્તિકાબહેન, તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે? તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રદ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય.”

અવન્તિકાબહેન અકળાઈને બોલ્યા, “મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું. થોડું ભણ્યાં એટલે છોકરાઓ એમ માનવા માંડે કે હું ખોટી છું, એ મારાથી સહન નહીં થાય. મારી વાત એટલે સો ટકા સાચી.”

સરગમ ઠંડકથી બોલ્યા,  ”કશો વાંધો નહિ. ચાલો હવે બને તેટલું ભૂલી જાવ. આજનો દિવસ સૌથી વધારે અગત્યનો છે. ભૂતકાળનાં અનુભવોમાંથી કંઈક શીખીને આપણી આજ સુધારવાની છે.”

આ પછી સરગમના સતસંગમાં અવન્તિકાબહેનના દિવસો પસાર થઈ રહ્યા છે. એમના સહજ રીતે કહેલા વાક્યો સાસુ હોવાના અહમને નવી દિશા બતાવી રહ્યો. સરગમે પહેલે દિવસે કહ્યું હતું એ પ્રમાણે, અવન્તિકાબહેનને ધીરે ધીરે નિવ્રુત્તિ નિવાસમાં ગમવા માંડ્યું હતું. પોતે કકળાટ કરતા હતા… પણ એવું કશું ખરાબ નહોતું લાગતું. ‘આહીં મને એકલી નાખી ગયા’ એ ભાવને બદલે સરખી ઉંમરવાળાનો સહવાસ સારો લાગવા માંડ્યો. હવે તો અમુક રમતો અને બ્રીજ-પત્તાની રમત પણ ઉત્સાહથી રમે છે.

 ”અરે! સરગમ કેમ હજી આવ્યા નહિ?”  આ ચાર મહિનાઓમાં એમનો એકે દિવસ સરગમ સાથે વાતો કર્યા વગર પૂરો નથી થયો. રોજની જેમ આજે પણ એ આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા હતા. છોકરાઓનો કાગળ આવ્યો હતો એ સરગમને બતાવવાનો હતો. આટલા સમયના સહવાસમાં અવન્તિકાબહેનની વિચારોની જડતામાં થોડી થોડી કોમળતા ક્યારે દાખલ થઈ ગઈ એ એમને પોતાને પણ ખબર ન રહી.

સરગમબહેન કહેતાં કે પૌત્રોને ઉછેરવામાં મદદ કરો તે તો યોગ્ય છે પણ જરૂર કરતાં વધારે મોહ અને વિટંબણામાં પડ્યા કે ખલાસ! ત્યાંથી જાકારો અને ક્લેશ સિવાય કાંઈ હાથમાં ના આવે. એમણે આ બે પંક્તિઓ કહેલી,

“કર્મનો મર્મ, મર્મથી ધર્મ, ધર્મથી નીતિ હું સમજી,
કર્મ અકર્મ વિકર્મની સાથે, સુકર્મની રીતિ હું સમજી.”

આ પંક્તિઓ અવન્તિકાબહેનને ગમી તો ગયેલી પણ એને સમજીને જીવનમાં ઉતારી શકાય એ એમણે સરગમના જીવન વ્યવહારમાં જોયું. હવે સમજાય છે કે આ ભાવ સહિત થોડી જાગૃતિ સાથે કુટુંબમાં જીવ્યા હોત તો પણ આનંદ મંગળ રહ્યા હોત.

સુનીલ, સુમન અને મહેશનો છેલ્લો કાગળ આવેલો એ ફરી આજે અવન્તિકાબહેન હાથમાં લઈને બેઠાં.

” જો સરગમ! મેં બે અઠવાડિયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો, એનો કેવો સરસ જવાબ આવ્યો! મને હતું કે મારા વગર એ કોઈને નહીં ચાલે, પણ છોકરાઓ તો સ્કૂલ પછી બાલવાડીમાં જાય છે અને બીજા બાળકો સાથે મજા કરે છે. મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે. ‘મારા વગર નહીં ચાલે’ એ ભ્રમણા ભાંગી ગઈ. રોજ હજી નાહી ધોઈને ભગવાનને પગે લાગે છે હોં!” અવન્તિકાબહેન સરગમને ગૌરવ સાથ કહી રહ્યા.

લીલાબહેનની શાંત અને સરળ પ્રકૃત્તિને કારણે આટલા મહીનાઓ સાથે રહેવા છતાંય અવન્તિકાબહેનને જરા પણ માનસિક ખેંચતાણ ન લાગી. પોતાની દયા ખાવાની વર્ષો જુની આદતને ખાસ પ્રોત્સાહન નહોતું મળતું. લીલાબહેનની દીકરી, અનુ, અવારનવાર મળવા આવતી ત્યારે અવન્તિકાબહેન સાથે મીઠાશથી વાતો કરતી.

અનુ કહેતી, “મારા બાને સ્ટ્રોક આવ્યો પછી નિવૃત્તિ નિવાસમાં આવવાનો એમનો જ આગ્રહ અને સહકાર હતાં, જેથી હું નોકરી પર હોઉં કે બહાર ગામ, મારે ચિંતા ન કરવી પડે.” અવન્તિકાબહેન તો આ મા-દીકરીનો સરળ સંબંધ જોઈને છક્ક જ થઈ ગયા. ન કોઈ ફરિયાદ, ન કોઈ હક્ક-માંગણી.

કબીરનો દોહરો એ જ કહેવા માંગે છે ને!
‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની
ખીચ લીયા સો ખૂન બરાબર, કહત કબીરા જ્ઞાની’

અવન્તિકાનબહેનને થાય કે પોતે દીકરા-વહુને, ભાઈને, કેવા ટોણા મારતા, ’તમને પહેલા જેવો મારા પર પ્રેમ નથી, મને તો યાદ પણ નથી કરતા’ વગેરે કહીને રડવા બેસતાં. ઉંમર સાથે સ્નેહનાં સ્વરૂપો બદલાતા રહે જેનો સદગુણી સ્વીકાર કરી પ્રેમ આપતા રહે તો બમણો પાછો મળે.

સમય સમયનુ કામ કરતો ચાલતો રહે છે. દિવાળી સમયે બધાં મળવા આવેલા અને અવન્તિકાબહેનને બહાર જમવા લઈ ગયેલા. સુનીલ-સુમનને ખબર કે બાને પીઝા બહુ ભાવે છે તેથી ખેંચીને લઈ ગયેલા. મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઉભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી. અવન્તિકાબહેન પોતાને સમજાવવા પ્રયત્ન કરે કે, ’આમ તો સારી છે. મહેશ અને બાળકોને કેટલા સારી રીતે સંભાળે છે.’ પણ હજુ મન એને માફ કરવા તૈયાર નહોતું.

મીનળે પૂછેલું, “બા,તમને અંહી ગમે તો છે ને?”  …‘ખાલી વિવેક કરવા પૂછ્યું હશે.’  પોતાનો અહમ એ પ્રમાણે મીનળની કિંમત કરતાં રોકતો હતો.

બધા મૂકીને ગયા પછી લીલાબહેન કહે, “ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે.” એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જુદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. એમને થયું કે ઘરમાં આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતા થાકતા નહોતા.

”લીલાબહેન, એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધું મારી રીતે શીખવાડ્યું. એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય.” અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા એ કેમ ભૂલી ગયા?.

આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી. “મને ફૂલ સજાવટનો બહુ શોખ. ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય. એક વખત મહેશ-મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યા.મને જરાય ન ગમી. એની ખોડ ખાંપણ રોજ કહેતી.”

સરગમ કહે, ” મિસિસ.એન, તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનું હતું કે તમારું! મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાની ઇચ્છા નહીં હોય? મન મારીને તમારું માન જાળવ્યું હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કોઈ ઉમંગ નહીં હોય?”

 પોતાનો બચાવ જરૂર કરેલો, “પણ મારી પસંદગી એટલી સરસ કે બધા વખાણ કરે.”

હવે યાદ આવે છે કે મહેશ ઘણીવાર વિરોધ કરે તો મારા કચવાટ પછી મીનળ જ કહે કે બા કહે એમ કરો. હવે એમને ખ્યાલ આવે છે કે, “બા કહે એમ કરો જેથી શાંતિ થાય.” અવન્તિકાબહેનને સમજાયું કે હું મારી મર્યાદા ન સમજુ તો કોઈકે તો પોતાનો આગ્રહ નિર્મૂળ કરવો જ રહ્યો. જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી. પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યુ. યાદ પણ નહોતું આવતું કે મોટાને ઘેર જમવા ક્યારે ગયા હતા!

બહારથી જનકભાઈનો મોટો અવાજ સંભળાયો. અવન્તિકાબહેને જઈને જોયું તો બાપ દીકરો બહારના બારણા પાસે ઊભાં ઊભાં ચર્ચા કરતા હતા. જનકભાઈ મોટેથી કહેતા હતા, “એવા કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, સાદાઈથી કરો. મેં કેટલી મહેનતથી બધું ભેગું કર્યું છે, ઈ તમારે ઉડાડવા માટે નથી.” દીકરો શરમાઈને એમને ધીમેથી બોલવા કહેતો હતો, પણ એ સાંભળે તો ને! અંતે, ધડ કરતુ બારણું બંધ કરીને બહાર નીકળી ગયો. જનકભાઈ ધુંઆફુંઆ થતાં પાછા ફર્યા, “સાવ બૈરી કહે એમ કર્યા કરશે.”

આ દ્રશ્ય જોઈને અવન્તિકાબહેન વિચાર કરતા પાછા ફર્યા. મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે ‘આ તો સારુ નથી, પૈસા વેડફાઈ ગયા,’ વગેરે બોલવાનું હોય જ. મીનળ ખાસ કરીને ઘરમાં જરૂરી વસ્તુઓ લાવતી, તોય મનનો દ્વેષ વાણી દ્વારા આવતો. મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જયારે પોતાને દર વખત પતિની ‘હા’ થાય પછી જ કંઈક ખરીદી થતી. આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો એ આજે સમજાય છે.

હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે અગિયાર મહિના થવા આવ્યા હતાં ત્યારે અવન્તિકાબહેનનુ મન હળવું થયું હતું અને મીનળને કાગળ લખવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું કે, “પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની સહૃદયી સરગમ સાથે વાતો કરતા જાણ થઈ. એ તો ક્યારનાં અમને છોડીને જતાં રહ્યાં છે પણ એના મીઠા ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે. ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે! મારો ભગવાન મારા તેમજ સર્વેના હ્રદયમાં બેઠો છે એ કેમ ભૂલાય? આપણો પહેલો નિયમ કે હિંસા ન કરવી, એમાં સ્વાર્થી આગ્રહથી બીજાની લાગણી ન દુભાવવી એ પણ આવી જાય.

હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી. દીકરી! તું તો મારા ઘરની   લક્ષ્મી  છે એ વાતની આજે કબૂલાત કરું છું. ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે. જય શ્રીક્રૃષ્ણ.”

વળતો ઉમંગ ભર્યો જવાબ આવ્યો. “બા, હવે વરસ થવા આવ્યું. અમે તમને આવતા અઠવાડિયે લેવા આવશું.” આવવાના દિવસે અવન્તિકાબહેન ઉત્સાહથી એમની સુઘડ ઢબથી નવો સાડલો પહેરી રાહ જોતા હરતાં ફરતાં હતાં.

સુનીલ-સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યા. પાછળ મહેશ અને મીનળ પણ હસતાં ચહેરે આવ્યા. થોડી વારમાં મહેશ અને બાળકો પેસ્તનજીની સાથે બગીચો જોવા ગયા. મીનળ બોલી, ”બા! અમે તમને લેવા આવ્યા છીએ. મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો.” અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા. “બેટા, ભૂલચૂક બધાની થાય, પણ એને સમજીને સુધારી શકીએ તો આપણી શાંતિ કાયમ રહે.” મીનળને સાસુની સમજ ભરી વાણી સાંભળી આશ્ચર્ય અને આનંદ થયાં.

મહેશ પાછો આવીને કહે, “ચાલો બેગ લઈ આવું.”

અવન્તિકાબહેન કહે, ”બેટા, અહીં બેસ. મારી વાત સાંભળ. મને હવે અહીં ગોઠી ગયું છે. પ્રસંગે મુંબઈ આવતી જતી રહીશ પણ હમણાં તો મારે અહીં રહેવું છે. મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરા-વહુનું ઘર સદાય આવકાર આપશે. હું ગમે ત્યાં રહું, બસ આ સ્નેહનો તાંતણો જોડાયેલો રહે.”

મહેશ-મીનળ અને બાળકોએ આગ્રહ કર્યો પણ અવન્તિકાબહેને બાળકોની પરીક્ષા પછી આવશે એવું નક્કી કર્યું. બધાને ‘ફરી મળશું’ કહીને વિદાય કર્યા. ચહેરા પર સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં જતાં ગાતાં હતાં.

“પ્રભુ મારીઆશા નહિવત કરજે,
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે.
તો જાણે સરગમ સાથે સૂર પુરાવતી સંભળાઈ
”સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી,
જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની.”
——-

સરયૂ પરીખ. saryuparikh@yahoo.com

ઈલા મહેતા

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. Harish Dasani
    ડીસેમ્બર 13, 2022 @ 06:18:42

    સરસ વાર્તા.ધૂમકેતુએ પોસ્ટ ઓફિસ વાર્તામાં કહેલું કે પોતાની દ્રષ્ટિએ જોવાને
    બદલે બીજાની દ્રષ્ટિએ માણસ જુએ તો અડધું જગત શાન્ત થઈ જાય.

    હરીશ દાસાણી.

    Liked by 1 person

    જવાબ આપો

  2. nabhakashdeep
    ડીસેમ્બર 12, 2022 @ 22:40:15

    સંસારની વાત જ પોતિકી.

    Sent from my iPhone

    >

    Like

    જવાબ આપો

Leave a comment